સનાતન ધર્મના સોળ સંસ્કાર

સંસ્કાર એટલે વ્યક્તિ કે પદાર્થને સુયોગ્ય કે સુંદર બનાવવાની ક્રિયા. સૃજ્ન્ ઉપસર્ગ સાથે ઇંદ્દ ધાતુથી ‘સંસ્કાર’ શબ્દ બન્યો છે. ઋગ્વેદ અને જૈમિનિ સૂત્રો જેવા ગ્રંથોમાં ‘સંસ્કાર’ શબ્દ પાત્ર, પવિત્ર કે નિર્મળ કાર્યના અર્થમાં પ્રયોજાયો છે. સંસ્કારોનો ઉદ્દેશ દ્વિજાતિઓમાં માતા-પિતાના રજ અને શુક્રગત દોષોના નિવારણથી આરંભી અંત્યેદૃષ્ટિપર્યંત ભૌતિક દેહને સંસ્કૃત કરતા રહેવાનો છે.

સંસ્કાર શબ્દના ગુજરાતી ભાષા પ્રમાણે વિવિધ અર્થ મળે છે. જેમ કે, કેળવણી, અસર, શુદ્ધિ, વિધિ વગેરે. ધર્મની રીતે સંસ્કાર એટલે વિધિ એવો ભાવાર્થ માનીને વિવિધ પ્રકારનાં સંસ્કારો દર્શાવાયા છે. જેમ કે, સનાતન ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ સોળ વૈદિક સંસ્કાર, મનુસ્મૃતિ પ્રમાણેના બાર સંસ્કાર, અંગિરા ઋષીના મત પ્રમાણે પચીસ સંસ્કાર જેટલા સંસ્કારોની યાદી મળે છે. જૈન ધર્મમાં પણ સોળ સંસ્કાર ગણાવાયા છે. શીખ ધર્મમાં એક સંસ્કાર દર્શાવાયો છે, જે અમૃત સંસ્કાર કહેવાય છે. આમ ધાર્મિક વિધિના રૂપે ગણાવાતા વિવિધ સંસ્કારો જાણવા મળે છે. આ ઉપરાંત સનાતન દર્શન શાસ્ત્રના એક ભાગ ન્યાય દર્શન પ્રમાણે સંસ્કાર એ ચોવીસ ગુણોમાંનો એક ગુણ છે.

સંસ્કારોની સંખ્યા વિશે સ્મૃતિકારોમાં મતભેદ પ્રવર્તે છે. ગૌતમે 40 સંસ્કારોની સાથે આત્માના શીલ વગેરે આઠ સંસ્કાર – ગુણાધાન કરનારા ગણાવ્યા છે. શંખ અને મિતાક્ષરા ગૌતમને સ્વીકારે છે. વૈખાનસે 18 શરીરસંસ્કાર કહ્યા છે. ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો અને સ્મૃતિઓમાં આટલી મોટી સંખ્યા બતાવાઈ નથી. અંગિરાએ ‘સંસ્કારમયૂખ’ અને ‘સંસ્કારપ્રકાશ’ જેવા ગ્રંથોમાં 25 સંસ્કાર ગણાવ્યા છે. ‘મનુસ્મૃતિ’, ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’, ‘વિષ્ણુધર્મસૂત્ર’ જેવા ગ્રંથો સંસ્કારોની સંખ્યા આપતા નથી. સંસ્કારો નિષેકથી સ્મશાન (અંત્યેદૃષ્ટિ) પર્યંત સંસ્કાર કરવામાં આવે છે. ગૌતમ અને અન્ય ગૃહ્ય સૂત્રકારોએ અંત્યેદૃષ્ટિને સંસ્કાર કહ્યો નથી. સોળ સંસ્કાર વિશે સૌ કોઈ સામાન્યત: સંમત છે.

સનાતન ધર્મ

સનાતન ધર્મ પ્રમાણે મનુષ્યના ભલા માટે કરવામાં આવતી વિધિ કે ધાર્મિક રિવાજો એટલે સંસ્કાર. બાળક ગર્ભમાં હોય ત્યાંથી તે અવસાન પછી પરલોકમાં જાય ત્યાં સુધીના તેને સુખી કરવાના વિવિધ સંસ્કારો દર્શાવાયા છે.

સોળ સંસ્કારો માટે વ્યાસ સ્મૃતિમાં એક શ્લોક છે –

જેમાંથી હાલ પ્રચલિત કે બહુમાન્ય એવા સોળ સંસ્કારો નીચે પ્રમાણે છે:

ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોન્ન્યન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વપન (ચૂડાકર્મ) સંસ્કાર, કર્ણવેધ સંસ્કાર, વેદારંભ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, કેશાન્ત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર, અગ્નિ સંસ્કાર

મનુસ્મૃતિ પ્રમાણે બાર સંસ્કાર

સનાતનઓનાં સ્મૃતિગ્રંથ એવા મનુસ્મૃતિમાં નીચે પ્રમાણે બાર સંસ્કાર દર્શાવાયા છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, (બ્રહ્મચર્યાદિ ચાર વ્રત), સમાવર્તન, વિવાહ.

અંગિરા ઋષીના મત પ્રમાણે પચીસ સંસ્કાર

ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, વિષ્ણુબલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, શાક્કવર, વ્રાતિક, ઔપનિષધ, કેશાંત, સમાવર્તન, વિવાહ, આગ્રપણ, અષ્ટકા, શ્રાવણી, આશ્વપુજી, માર્ગશીર્ષી, પાર્વણ, ઉત્સર્ગ, ઉપાકર્મ, પંચ મહાયજ્ઞ

શિલ્પ શાસ્ત્ર પ્રમાણે સોળ સંસ્કાર

ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ.

ભગવદ્ગોમંડળમાં ઉલ્લેખીત સોળ સંસ્કાર

(1) ગર્ભાધાન, (2) પુંસવન, (3) અનવલોભન, (4) વિષ્ણુબલિ, (5) સીમંતોન્નયન, (6) જાતકર્મ, (7) નામકરણ, (8) નિષ્ક્રમણ, (9) સૂર્યાવલોકન, (10) અન્નપ્રાશન, (11) ચૂડાકર્મ, (12) ઉપનયન, (13) ગાયત્ર્યુપદેશ, (14) સમાવર્તન, (15) વિવાહ અને (16) સ્વર્ગારોહણ.

સોળ સંસ્કારો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમાં બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ તબક્કાઓ જણાવવામાં આવ્યા છે. સંસ્કાર એ સીડી છે જેના પર ચાલીને વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી સુખી જીવન જીવે છે. આ સંસ્કાર પરિવાર સાથે વડીલોના આશીર્વાદ સાથે ભારતીય ઊજવવામાં આવે છે જે પૂર્ણતઃ વૈજ્ઞાનિક ઢબે રચાએલા કલ્યાણકારી સાબિત થયા છે.

Start typing and press Enter to search

© બર્ડાઇ જયોત