પતિ-પત્ની – એક અનોખો સંબંધ

આમ જોઇએ તો દુનિયામાં ઘણા સંબંધ છે પરંતુ છેલ્લા શ્વાસ સુધી સાથ આપતો સંબંધ માત્ર એકજ છે જે છે પતિ-પત્નીનો સંબંધ. જન્મ તો માતા-પિતા જ આપે છે, ત્યારબાદ માતા-પિતા ભણાવે મોટા કરે અને લગ્ન કરાવે. સંબંધોમાં માતા-પિતા, ભાઈ, બહેન, અંગત સગા-વહાલા મિત્રો, પત્ની, સંતાનો જેવા અલગ અલગ સંબંધોનો સમાવેશ થાય છે. સંબંધો વિના જીવન અપૂર્ણ છે. આ સંબંધો આપણા અસ્તિત્વ અને ઓળખ માટે મહત્ત્વના છે. આપણી સાથે લોહીના સંબંધથી જોડાયેલા લોકોનું દુ:ખ આપણને રડાવી જાય છે તો તેમનું સુખ આપણા આનંદમાં વધારો કરે છે અને આપણી આંખોને હર્ષના અશ્રુઓથી ભીની કરી દે છે. આ સંબંધોમાંનો એક સંબંધ લોહીનો નથી પરંતુ આ સર્વ સંબંધોમાં મહત્ત્વનો સંબંધ છે. આ સંબંધ છે પતિ-પત્નીનો. પતિ-પત્ની એકબીજા સાથે લોહીની સગાઈથી જોડાયેલા નથી. તેમની સગાઈ લાગણીઓ અને પ્રેમના બંધનથી જકડાયેલી છે.

પતિ-પત્નીનો નાતો અતૂટ માનવામાં આવે છે. લગ્નરૂપી બેડી બે અજાણી વ્યક્તિઓને એકબીજા સાથે પ્રેમની કડીથી સાંકળી લે છે. તેઓ જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે. અને સુખ-દુ:ખમાં એકબીજાની પડખે ઊભા રહે છે. પત્નીની જેમ મિત્ર સાથે પણ લોહીની સગાઈ હોતી નથી. મૈત્રી લાગણીના સેતુઓ સાથે જોડાયેલી છે. આપણો સાચો મિત્ર સુખ-દુ:ખમાં સાથ છોડતો નથી. તેમજ આપણી ખોટી પ્રશંસા પણ કરતો નથી. લગ્ન પછી પત્ની પણ આવા જ મિત્રની ગરજ સારે છે. પત્નીના પ્રેમમાં મિત્રનો સંબંધ ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય છે અને જિંદગીમાં વસંતનું આગમન થાય છે. તેથી જ તો કેહવાય છે ને કે પતિ-પત્ની પેહલા એક મિત્ર બને છે. પતિ-પત્ની દરેક નાના મોટા સુખ-દુઃખમાં સાથ આપે છે. લગ્ન જીવન શરુ કર્યા બાદ તેમના પ્રેમની નિશાની તેમનું બાળક જે આ દુનિયામાં આવ્યા બાદ પતિ-પત્નીના સંબંધને વધારે મજબૂત બનાવે છે.

નાના મોટા ઝગડા બાદ પણ બને એકબીજાને સમજે છે, એકબીજા નું ધ્યાન રાખે છે. પતિ-પત્નીનો સંબંધ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વધારે મજબૂત બનતો જાય છે. લગ્ન બાદ પતિ-પત્ની તેમના બાળકનો ઉછેર કરે છે ખૂબ સારી રીતે તેના બાળક ને ભણાવે-ગણાવે છે. પરિવારની દરેક જવાબદારી પણ પૂર્ણ કરે છે. તેમ છતાં આ બધા કાર્યમાં વ્યસ્ત રહ્યા બાદ પણ એકબીજા સાથે વાતચીત કરી ને આખા દિવસનો થાક ઉતારે છે જે એકમેકને પ્રેમાળ હૂફ પૂરી પાડે છે. એકબીજાના સાથથી જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેમ લાગે છે. આ હૂફ અને હિંમત જ બીજા દિવસે બધી જવાબદારી લેવાની તાકાત પૂરી પાડે છે.

જેમ જેમ સમય વીતે છે તેમ તેમ સંબંધ ઓછા થતાં જાય છે. પોતાના સંતાનને ભણાવીને લગ્ન કરાવી ને જવાબદારી પૂર્ણ કરે છે. તેના સંતાનો પણ પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ જાય છે. જન્મ આપનાર માતા-પિતા પણ સ્વર્ગ સિધાવે છે, એમ જ દરેક સગાવાહલાનો સંબંઘ પણ સમય સાથે પુરા થઈ જાય છે. પછી માત્ર ને માત્ર પતિ-પત્નીનો જ સાથ રહી જાય છે.

એક ઉંમર પછી બને એક-મેકના સહારા બની જાય છે. વૃદ્ધા અવસ્થામાં જ્યારે પત્ની ને હૂફ ને દેખરેખ કે પ્રેમની જરુર હોય તે પતિ આપે છે, તેમજ પતિને હૂફ, પ્રેમ દરેક વસ્તુ પત્ની પૂરી પાડે છે. આ સમય એવો આવી જાય છે કે બને બાળક બની જાય છે, લાકડીના ટેકે ટેકે એકબીજાની જિદ્દ અને ઈચ્છા પૂરી કરે છે. એકબીજા એક બાળકની જેમ સંભાળ લે છે. આમ જ અંત સુધી સાથ આપે છે પરંતુ કોઈકનું મૃત્યુ વેહલા કે મોડા થાય જ છે. જેમ પાન ખરે છે ઝાડ પરથી એમ પતિ કે પત્નીમાંથી કોઈનું મૃત્યુ થાય છે ત્યારે બીજા સાથી મોટો આઘાત લાગે છે ત્યારબાદ તેના સાથીનું જીવન સાવ રંગ હીન બની જાય છે એકલવાયું થઈ જાય છે અને પોતાનું જીવન ખુબજ મૂંઝવણ ભર્યું લાગે છે. પતિ-પત્નીનો સંબંધ લોહીનો નથી પરંતુ બંને એવી લાગણીથી બંધાય જાય છે કે એકબીજાના અંતિમ શ્વાસ સુધી સાથ નિભાવે છે.

Start typing and press Enter to search

© બર્ડાઇ જયોત