ભગવાન પરશુરામ જન્મોત્સવ

ભગવાન પરશુરામ જન્મોત્સવ એટલે બ્રાહ્મણોના આરાધ્ય, પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુજીનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. ભગવાન પરશુરામ જન્મોત્સવ સનાતન ધર્મનો પ્રસિદ્ધ તહેવાર છે. તેની ખાસ કરીને બ્રાહ્મણો કે જે ભગવાન પરશુરામના વંશજો છે, તેઓ તેની ઉજવણી ખુબ ધામ ધુમથી આખા ભારતવર્ષમાં કરે છે. આ દિવસે શોભયાત્રા, સત્સંગ વગેરે બ્રાહ્મણો દ્વારા ઉજ્જવવામાં આવે છે. ઉપવાસ પણ રાખવામાં આવ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલ પુણ્યનો પ્રભાવ પણ અક્ષય હોય છે. આ દિવસે ઠેકઠેકાણે ભગવાન પરશુરામની અર્ચના કરવામાં આવે છે. ભગવાન પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. આવો આજે તેમના વિશે થોડું જાણીએ.

પરશુરામજી નો ગાયત્રી મંત્ર છે:

ભગવાન પરશુરામજી ત્રેતાયુગમાં એક બ્રાહ્મણ ઋષિને ત્યાં જન્મ્યા હતા. તેઓ  ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે. પૌરાણિક કથાઓ અનુસાર, તેમનો જન્મ જનપાવ પર્વત પર વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે મહર્ષિ ભૃગુના પુત્ર મહર્ષિ જમદગ્નિ દ્વારા કરવામાં આવેલા પુત્રેષ્ઠી યજ્ઞથી પ્રસન્ન દેવરાજ ઇન્દ્રના વરદાન રૂપે તેમની પત્ની રેણુકાના ગર્ભથી થયો હતો, જે હાલ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના માનપુર ગામમાં આવેલ છે. તેઓ ભગવાન વિષ્ણુના આવેશ-અવતાર છે.

ભગવાન પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કિ પુરાણ જેવા અનેક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. તેઓ અહંકારી અને ધૃષ્ટ હૈહય વંશના ક્ષત્રિયોનો પૃથ્વી પરથી 21 વાર સંહાર કરવા માટે પ્રસિદ્ધ છે. તેઓ ધરતી પર વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા ઇચ્છુક હતા. કહેવાય છે કે ભારતના મોટાભાગના પ્રદેશો તેમના દ્વારા વસાવવામાં આવ્યા હતા, જેમાં કોંકણ, ગોવા અને કેરળનો સમાવેશ થાય છે. પૌરાણિક કથા અનુસાર, ભગવાન પરશુરામે તીર ચલાવીને ગુજરાતથી કેરળ સુધી સમુદ્રને પાછો ધકેલી નવી જમીનનું નિર્માણ કર્યું. અને આ જ કારણે કોંકણ, ગોવા અને કેરળમાં ભગવાન પરશુરામની વંદના થાય છે.

તેઓ ભાર્ગવ ગોત્રના સૌથી આજ્ઞાકારી સંતાનોમાંથી એક હતા, જે સદૈવ પોતાના ગુરુજનો અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરતા. તેઓ સદા મોટાઓનો આદર કરતા અને કદી તેમની અવગણના ન કરતા. તેમની ભાવના આ જીવસૃષ્ટિને તેના પ્રાકૃતિક સૌંદર્ય સાથે જીવંત રાખવાની હતી. તેઓ ઇચ્છતા કે આ સમગ્ર સૃષ્ટિ પશુ-પક્ષીઓ, વૃક્ષો, ફળ-ફૂલો અને સમગ્ર પ્રકૃતિ માટે જીવંત રહે. તેમનું કહેવું હતું કે રાજાનો ધર્મ વૈદિક જીવનનો પ્રસાર કરવાનો છે, ન કે પ્રજા પાસેથી આજ્ઞાપાલન કરાવવાનો. તેઓ બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા પરંતુ કર્મે ક્ષત્રિય હતા. તેમને ભાર્ગવ નામથી પણ ઓળખવામાં આવે છે.

આ પણ જાણવા મળે છે કે પરશુરામે મોટાભાગની વિદ્યાઓ પોતાની બાળાવસ્થામાં જ માતાની શિક્ષાઓ (એ શિક્ષા જે 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે છે) થી શીખી લીધી હતી . તેઓ પશુ-પક્ષીઓની ભાષા સમજતા અને તેમની સાથે વાત કરી શકતા. એટલું જ નહીં, અનેક ખૂંખાર જંગલી પશુઓ પણ તેમના સ્પર્શથી જ તેમના મિત્ર બની જતા.

તેમણે સૈન્ય શિક્ષા ફક્ત બ્રાહ્મણોને જ આપી. પરંતુ આના કેટલાક અપવાદો પણ છે, જેમકે ભીષ્મ અને કર્ણ.

તેમના જાણીતા શિષ્યો હતા: ભીષ્મ, દ્રોણ (કૌરવ-પાંડવોના ગુરુ અને અશ્વત્થામાના પિતા), કર્ણ

કર્ણને આ જ્ઞાત નહોતું કે તે જન્મથી ક્ષત્રિય છે. તે સદા પોતાને શૂદ્ર સમજતો, પરંતુ તેની સામર્થ્ય છુપાઈ શકી નહીં. તેણે ગુરુ પરશુરામને આ વાત ન કહી કે તે શૂદ્ર વર્ણનો છે અને ભગવાન પરશુરામ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી. પરંતુ જ્યારે પરશુરામને આની જાણ થઈ, ત્યારે તેમણે કર્ણને શાપ આપ્યો કે તેમનું શીખવેલું સર્વ જ્ઞાન તેને સૌથી વધુ જરૂરી સમયે કામ નહીં આવે. આથી જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ અને અર્જુન આમને-સામને થાય છે, ત્યારે તે અર્જુન દ્વારા માર્યો જાય છે, કારણ કે તે સમયે કર્ણને બ્રહ્માસ્ત્ર ચલાવવાનું જ્ઞાન યાદ નથી રહેતું.

ભગવાન પરશુરામ યુદ્ધ કળામાં નિષ્ણાત હતા. પરશુરામ કેરળની માર્શલ આર્ટ કલારીપાયટ્ટુની ઉત્તરીય શૈલી વદક્કન કલારીના સ્થાપક આચાર્ય અને આદિ ગુરુ છે . વદક્કન કલારી એ એક શૈલી છે જે શસ્ત્રોના ઉપયોગ પર ભાર મૂકે છે.

ઇતિહાસ

જન્મ કથા

પ્રાચીન કાળમાં કન્નૌજમાં ગાધિ નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેમની સત્યવતી નામની એક અત્યંત રૂપવતી કન્યા હતી. રાજા ગાધિએ સત્યવતીનો વિવાહ ભૃગુનંદન ઋચીક સાથે કરી દીધો. સત્યવતીના વિવાહ પછી, ત્યાં ભૃગુ ઋષિ આવ્યા અને પોતાની પુત્રવધૂને આશીર્વાદ આપી, તેને વર માંગવા કહ્યું. આથી સત્યવતીએ પોતાની માતા માટે એક પુત્રની યાચના કરી. સત્યવતીની યાચના સાંભળી, ભૃગુ ઋષિએ તેને બે ચરુ (યજ્ઞાન્ન) પાત્ર આપીને કહ્યું: “જ્યારે તમે અને તમારી માતા ઋતુ સ્નાન કરી લો, ત્યારે તમારી માતા પુત્રની ઇચ્છા લઈ પીપળના વૃક્ષનું આલિંગન કરે, અને તમે ગૂલરના વૃક્ષનું આલિંગન કરો. પછી મેં આપેલા આ ચરુનો અલગ-અલગ સેવન કરજો.” પરંતુ સત્યવતીની માતાએ જ્યારે જોયું કે ભૃગુએ પોતાની પુત્રવધૂને ઉત્તમ સંતાન માટેનો ચરુ આપ્યો છે, તો તેણે પોતાનો ચરુ પુત્રીના ચરુ સાથે બદલી દીધો. આમ સત્યવતીએ માતાનો ચરુ ખાઈ લીધો.

યોગશક્તિથી મહર્ષિ ભૃગુને આ વાતની જાણ થઈ, અને તેઓ પુત્રવધૂ પાસે આવીને બોલ્યા: “પુત્રી! તમારી માતાએ છળ કરી તમારો ચરુ ખાઈ લીધો છે. તેથી હવે તમારી સંતાન બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય જેવું આચરણ કરશે, અને તમારી માતાની સંતાન ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ જેવું આચરણ કરશે.” સત્યવતીએ ભૃગુ પાસે વિનંતી કરી: “મારો પુત્ર બ્રાહ્મણ જેવું આચરણ કરે, ભલે મારો પૌત્ર ક્ષત્રિય જેવું કરે.” ભૃગુએ આ વિનંતી સ્વીકારી. સમય આવ્યે સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો. જમદગ્નિ અત્યંત તેજસ્વી હતા. મોટા થયા પછી, તેમનો વિવાહ પ્રસેનજિતની પુત્રી રેણુકા સાથે થયો. રેણુકાથી તેમને પાંચ પુત્રો થયા: રુક્મવાન, સુખેણ, વસુ, વિશ્વાનસ અને પરશુરામ.

માતા-પિતા ભક્ત પરશુરામ

શ્રીમદ્ ભાગવતમાં વર્ણવ્યા અનુસાર, ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે વિહાર કરતાં જોઈ, હવન માટે ગંગા તટ પર પાણી લેવા ગયેલી રેણુકા આસક્ત થઈ ગઈ અને ત્યાં જ રોકાઈ ગઈ. હવનનો સમય નીકળી જતાં ક્રોધિત ઋષિ જમદગ્નિએ પત્નીના આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના દંડરૂપે તમામ પુત્રોને માતા રેણુકાનો વધ કરવાની આજ્ઞા આપી. બાકીના ભાઈઓએ આવો દુઃસાહસ ન કરી શકતાં, પિતાના તપોબળથી પ્રભાવિત પરશુરામે તેમની આજ્ઞા પ્રમાણે માતાનું શિરચ્છેદ કર્યું અને તેમને બચાવવા આગેવાન થયેલા પોતાના સર્વ ભાઈઓનો વધ કરી નાખ્યો. આ કાર્યથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. ત્યારે પરશુરામે સર્વને પુનર્જીવિત થવાનો અને વધ સંબંધી સ્મૃતિ નાશ પામે તેવું વરદાન માંગ્યું.

પિતા જમદગ્નિની હત્યા અને પરશુરામનો પ્રતિશોધ

કથા મુજબ, હૈહય વંશના રાજા કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રાર્જુન) એ ભગવાન દત્તાત્રેયને ઘોર તપથી પ્રસન્ન કરી હજાર ભુજાઓ અને યુદ્ધમાં અજેય થવાનો વરદાન મેળવ્યો હતો. સંયોગવશ, તે શિકાર દરમિયાન જમદગ્નિ મુનિના આશ્રમમાં પહોંચ્યો. દેવરાજ ઇંદ્ર દ્વારા મળેલી કપિલા કામધેનુની સહાયથી સેનાદળના અદ્ભુત આતિથ્યથી લોભમાં આવી, તે જમદગ્નિની અવજ્ઞા કરી કામધેનુને જબરદસ્તી લઈ ગયો.

ક્રોધિત પરશુરામે પરશુથી તેની સર્વ ભુજાઓ કાપી નાખી અને મસ્તક ધડથી અલગ કર્યું. ત્યારબાદ સહસ્ત્રાર્જુનના પુત્રોએ પ્રતિશોધમાં, પરશુરામની ગેરહાજરીમાં ધ્યાનસ્થ પિતા જમદગ્નિની હત્યા કરી દીધી. રેણુકા પતિના ચિતામાં પ્રવેશી સતી થઈ ગઈ. આ ઘટનાથી ક્રોધિત પરશુરામે મહિષ્મતી નગરી પર હુમલો કરી તેના પર કબ્જો જમાવ્યો. પછી તેમણે એક પછી એક 21 વાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો સંહાર કર્યો. એટલું જ નહીં, તેમણે હૈહય વંશીય ક્ષત્રિયોના રુધિરથી સ્થલત પંચક ક્ષેત્રના પાંચ સરોવર ભરી દીધા અને પિતાનું શ્રાદ્ધ સહસ્ત્રાર્જુનના પુત્રોના રક્તથી કર્યું. અંતે મહર્ષિ ઋચીકે પ્રગટ થઈ પરશુરામને આવા ઘોર કૃત્યથી રોક્યા.

પછી તેમણે અશ્વમેધ યજ્ઞ કર્યો અને સપ્તદ્વીપ યુક્ત પૃથ્વી મહર્ષિ કશ્યપને દાન કરી દીધી. એટલું જ નહીં, તેમણે દેવરાજ ઇંદ્ર સમક્ષ શસ્ત્રો ત્યાગી દીધા અને સાગર દ્વારા છોડવામાં આવેલ ભૂભાગ (મહેન્દ્ર પર્વત) પર આશ્રમ બનાવી રહેવા લાગ્યા.

ક્ષત્રિયોનો વિનાશ

શ્રીમદ્ ભાગવત અને રામાયણ જેવા પુરાણો મુજબ, પરશુરામે 21 વાર ક્ષત્રિયોને મૂળોથી નાશ કર્યો. તેમણે સહસ્ત્રાર્જુન રાજા, તેના પુત્રો અને પૌત્રોનો વધ કર્યો, અને પછી 21 વાર સમગ્ર ક્ષત્રિય વંશનો સંહાર કર્યો. હૈહયવંશના 5 પુત્રોના વંશને પરશુરામે અભયદાન આપ્યું, જેમાંથી વૃષ્ણિ, વિતિહોત્રા વગેરે વંશો ચાલ્યા. બાકીના ક્ષત્રિયોનો 21 વાર અંત આણ્યો. ગર્ભમાં રહેલા બાળકો પણ બચ્યા નહીં.

ઋષિ વશિષ્ઠના શાપથી સહસ્ત્રાર્જુનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. સહસ્ત્રાર્જુને જમદગ્નિના આશ્રમમાં કપિલા કામધેનુ જોઈ, લાલચમાં આવી તેને જબરદસ્તી લઈ ગયો. જ્યારે પરશુરામને આ જાણ થઈ, તો પિતાના સન્માન માટે કામધેનુ પાછી લેવા સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં સહસ્ત્રાર્જુનની સર્વ ભુજાઓ કપાઈ અને તે માર્યો ગયો.

ત્યારબાદ સહસ્ત્રાર્જુનના પુત્રોએ પ્રતિશોધમાં પરશુરામની ગેરહાજરીમાં પિતા જમદગ્નિની હત્યા કરી. પરશુરામની માતા રેણુકાએ પતિની હત્યાથી વિચલિત થઈ ચિતામાં પ્રવેશી સતી થઈ ગયાં. આ ઘટનાએ પરશુરામને ક્રોધિત કર્યા, અને તેમણે પ્રતિજ્ઞા કરી: “હું સર્વ ક્ષત્રિયોનો નાશ કર્યા વિના શાંત નહીં થાઉં!” ત્યારબાદ તેમણે અહંકારી અને દુષ્ટ ક્ષત્રિયો સાથે 21 વાર યુદ્ધ કર્યું.

અન્ય કથાઓ

બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવી કથા છે કે કૈલાસ સ્થિત ભગવાન શંકરના અંતઃપુરમાં પ્રવેશ કરતી વખતે ગણેશજીએ પરશુરામને રોક્યા. પરશુરામે બળજબરી કરી અંદર જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ગણપતિએ તેમને સ્તંભિત કરી પોતાની સૂંઢમાં લપેટી, સર્વ લોકોનું ભ્રમણ કરાવી ગોલોકમાં શ્રીકૃષ્ણનાં દર્શન કરાવ્યા અને ભૂતલ પર પટકી દીધા. ચેતના આવતાં ક્રોધિત પરશુરામે પરશુથી કરેલા પ્રહારથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો, જેથી તેઓ એકદંત કહેવાયા.

રામાયણ કાળ

ત્રેતાયુગમાં, રામાવતાર સમયે શિવજીનું ધનુષ્ય ભાંગી જતાં, પરશુરામ આકાશમાર્ગે મિથિલાપુરી પહોંચ્યા અને પ્રથમ તો પોતાને “વિશ્વ-વિદિત ક્ષત્રિયકુલ દ્રોહી” જાહેર કરી ક્રોધમાં બોલ્યા: “સુનહુ રામ જેહિ શિવધનુ તોરા, સહસબાહુ સમ સો રિપુ મોરા.” પછી, પોતાની શક્તિનો સંશય દૂર થતાં, તેમણે વૈષ્ણવ ધનુષ્ય શ્રીરામને સોંપ્યું અને “અનુચિત બહુત કહેઉ અજ્ઞાતા, ક્ષમહુ ક્ષમામંદિર દોઉ ભ્રાતા” કહી તપસ્યા માટે વનમાં પાછા ફર્યા. રામચરિત માનસની આ પંક્તિઓ સાક્ષી છે: “કહ જય જય જય રઘુકુલકેતૂ, ભૃગુપતિ ગયે વનહિં તપ હેતૂ.” વાલ્મીકિ રામાયણ મુજબ, દશરથનંદન શ્રીરામે જમદગ્નિકુમાર પરશુરામનું પૂજન કર્યું, અને પરશુરામે રામચંદ્રની પરિક્રમા કરી આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું. જતી વખતે તેમણે શ્રીરામ પાસે તેમના ભક્તોનું સતત સાન્નિધ્ય અને ચરણારવિંદો પ્રતિની દૃઢ ભક્તિની જ યાચના કરી હતી.

મહાભારત કાળ

ભીષ્મે અંબાને સ્વીકાર્યા નહીં, તેથી તે પ્રતિશોધ માટે પરશુરામ પાસે મદદ માંગવા આવી. ત્યારે પરશુરામે ભીષ્મને યુદ્ધ માટે લલકાર્યા. બંને વચ્ચે 23 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. પરંતુ, પિતા દ્વારા મળેલા “ઇચ્છામૃત્યુ”ના વરદાને કારણે પરશુરામ તેમને હરાવી શક્યા નહીં.

પરશુરામ જીવનભરની કમાઈ બ્રાહ્મણોને દાન કરતા હતા. એ સમયે દ્રોણાચાર્ય તેમના પાસે પહોંચ્યા. પરંતુ ત્યાં સુધીમાં પરશુરામ સર્વસ્વ દાન કરી ચૂક્યા હતા. ત્યારે તેમણે દ્રોણને કોઈપણ અસ્ત્ર-શસ્ત્ર પસંદ કરવા કહ્યું. ચતુર દ્રોણે કહ્યું: “હું તમારા સર્વ અસ્ત્ર-શસ્ત્ર તેમના મંત્રો સહિત ઇચ્છું છું.” પરશુરામે “એવમસ્તુ!” કહી સ્વીકાર્યું. આથી દ્રોણ શસ્ત્રવિદ્યામાં નિપુણ થયા.

પરશુરામ કર્ણના ગુરુ પણ હતા. તેમણે કર્ણને અસ્ત્રવિદ્યા અને બ્રહ્માસ્ત્ર ચલાવવાનું શીખવ્યું. પરંતુ કર્ણ સૂતપુત્ર હતો. છતાં, પરશુરામને ખબર ન હતી. એક દિવસ, જ્યારે પરશુરામ કર્ણની ગોદમાં માથું મૂકી સૂતા હતા, ત્યારે એક ભમર આવી કર્ણના પગ પર કાપવા લાગ્યો. ગુરુની ઊંઘમાં વિઘ્ન ન આવે, એમ વિચારી કર્ણ દુઃખ સહન કરતો રહ્યો. લોહી પરશુરામના પગ સુધી પહોંચતાં તેમની ઊંઘ ખૂલી. તેઓ સમજી ગયા કે આ લોહી ક્ષત્રિયનું છે. આથી, કર્ણને શાપ આપ્યો: “જ્યારે સૌથી વધુ જરૂરી હશે, ત્યારે આ વિદ્યા કામ નહીં આવે.”

બીજી કથા મુજબ, એક વાર ગુરુ પરશુરામ કર્ણની જાંઘ પર માથું મૂકી સૂતા હતા. ત્યારે એક વીંછીએ કર્ણની જાંઘ પર ડંખ માર્યો. ગુરુની ઊંઘ ન ખૂલે, એમ વિચારી કર્ણે દુઃખ સહન કર્યું. પરશુરામને જાગૃત થઈ ખબર પડી કે બ્રાહ્મણ પુત્રમાં આટલી સહનશક્તિ ન હોય. કર્ણના મિથ્યાભાષણ પર તેમણે શાપ આપ્યો: “જ્યારે સૌથી વધુ જરૂરી લાગશે, ત્યારે આ વિદ્યા કામ નહીં આવે.” આમાં, તે વીંછી ઇંદ્રદેવ હતા, જેમણે કર્ણની શક્તિનો રહસ્ય શોધવા આવ્યા હતા. કર્ણે ધનુર્વિદ્યા અને દિવ્ય શક્તિથી ઇંદ્રને પરાસ્ત કર્યા હતા. આથી ઇંદ્રને જાણ થયું કે કર્ણ ક્ષત્રિય કે બ્રાહ્મણ નહીં, પરંતુ સૂતપુત્ર છે.

પરશુરામ નામનું મહત્વ

પરશુ એ પરાક્રમનું પ્રતીક છે, અને રામ એ સત્યનું પ્રતીક છે. આ પ્રમાણે પરશુરામ નો અર્થ પરાક્રમના કારક (કર્તા) અને સત્યને ધારણ કરનાર થાય. આથી તેમનામાં ભગવાન વિષ્ણુનું પ્રતિબિંબ જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ કરેલ વ્યાખ્યા મુજબ પરશુ માં ભગવાન શિવનો સમાવેશ થાય છે અને રામ માં ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે. આથી પરશુરામ ભલે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય, પરંતુ વ્યવહારમાં તેમના સ્વરૂપમાં શિવ અને વિષ્ણુનો સમન્વય જોવા મળે છે. આથી પરશુરામને ‘શિવહરિ’ પણ કહી શકાય.

વિષ્ણુ પોષણના દેવ છે. આ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર દેવ છે. આથી પરશુરામ એટલે પોષણ-રક્ષણનું ધારણ શસ્ત્રથી શક્તિ ધ્વનિત થાય છે. જયારે શાસ્ત્રથી શાંતિ પ્રતિબિંત થાય છે. શસ્ત્રની શક્તિ એટલે સંહાર અને શાસ્ત્રની શાંતિ એટલે સંસ્કાર. આથી પરશુરામ વાસ્તવમાં પરશુનાં રૂપમાં શસ્ત્ર અને રામનાં રૂપમાં શાસ્ત્રનાં પ્રતિક છે. એક વાક્યમાં એવું કહેવાય કે પરશુરામ એ શસ્ત્ર અને શાસ્ત્રનો એક સમન્વય છે અને સંતુલન જેમનો જીવન સંદેશ છે.

ભગવાન શ્રી પરશુરામનો જન્મ અક્ષયતૃતીયનાં દિવસે હોવાથી તેમની શાસ્ત્રશક્તિ પણ અક્ષય છે, અને શાસ્ત્ર સંપદા પણ અનંત છે. વિશ્વકર્મા દ્વારા અભિમંત્રિત બે દિવ્ય ધનુશ્યોની પ્રત્યંચા પર ફક્ત પરશુરામ જ બાણ ચઢાવી શકતા હતા. આ તેમની અક્ષય શસ્ત્ર શક્તિનું પ્રતીક હતું. પિતા જમદગ્નિની આજ્ઞાનુસાર માતા રેણુકાનો તેમને વધ કર્યો અને શ્રેષ્ઠ પિતૃભક્તિનું ઉદાહરણ પૂરું પાડેલ. સ્વાભાવિક રીતે કોઈ પણ પુત્ર પિતાનાં આવાં આદેશનું પાલન ન કરે આથી આપણને પ્રશ્ન થાય કે પરશુરામે તેની માતાનો વધ કેમ કર્યો ? પરંતુ આગળ જેમ જણાવ્યું તેમ આનો ઉત્તર પરશુરામનાં પરશુમાં નહીં પણ રામમાં છે.

રામ એ સત્ય સનાતનનો પર્યાય છે. સત્યનો અર્થ છે. સદાય નૈતિક, સત્યનો અભિપ્રાય છે. દિવ્યતા સત્યનો ઉદેશ્ય છે સતત સાત્વિક સત્તા. પરશુરામ વાસ્તવમાં રામના રૂપમાં સત્વનું સસ્ક્તકરણ છે. આથી નૈતિક-યુક્તિ-હરણનું અવતરણ છે. પરશુરામે તેના તેજ, ઓજસ અને શોર્ય થકી સહસ્ત્રાર્જુનનો વધ કરીને અરાજકતા સમાપ્ત કરીને નૈતિકતા અને ન્યાયની પ્રસ્થાપના કરી હતી. આમ જોવા જઈએ તો પરશુરામનો ક્રોધ એ રચનાત્મક ક્રોધ છે. તેમના ક્રોધ વડે કોઈ જ ખંડનાત્મક પ્રવૃતિ નહોતી કરી. માં જેમ તેના સંતાનને સારા સંસ્કાર આપવા ક્રોધ કરીને ક્યારેક મારે છે. આમ છતાં તેનું સંતાન ફરી કરીને મા પાસેજ જાય છે. કેમ કે તે જાણે છે કે માનો ક્રોધ રચનાત્મ્ક ક્રોધ છે. તેને સારા સંસ્કાર આપવા માટેનો ક્રોધ છે. આમ પરશુરામે પણ અન્યાયનો સંહાર અને ન્યાયનું સર્જન કર્યું.

Leave a Comment

Start typing and press Enter to search

© બર્ડાઇ જયોત