આભપરાના અવધૂત : સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ

વિપશ્યનાના પ્રવર્તક ગોએન્કાજી અને ઓશો રજનીશે જે કહ્યું તે જ વાત આજથી સો વર્ષ પહેલાં પૂ. ત્રિકમાચાર્ય બાપુએ કરી, “તમે અંતરમાં ઊતરી પોતાની જાતને જોતા શીખો. આત્મનિરીક્ષણ કરો. જેવું પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. જેવું બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે.

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર નજીક બરડો પર્વત આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર આભપરાના નામે ઓળખાય છે. આજથી લગભગ 161 વર્ષ પૂર્વે યોગી શ્રી ત્રિકમાચાર્યે આ આભપરાના શિખર પર ઉગ્ર તપશ્ચર્યા કરેલી તેથી તેઓ પોરબંદર તથા હાલાર પંથકમાં આભપરાના યોગી તરીકે જાણીતા થયેલા. તપોબળથી મેળવેલું જ્ઞાન શ્રી ત્રિકમાચાર્યજીએ “જ્ઞાન પ્રકાશ” ગ્રંથમાં લખ્યું છે. તેઓશ્રી સૂરીલો કંઠ ધરાવતા ભજનિક, કવિ, દાર્શનિક, વિચારક અને સુધારક હતા. એ જમાનામાં તેમણે દહેજપ્રથા, કન્યાવિક્રય જેવાં સામાજિક દૂષણો વિરુદ્ધ ઉપદેશ આપેલા, વિદ્વાન, સાક્ષર સ્વ. કે.કા. શાસ્ત્રીએ તેમને “સમાજસુધારક યોગી‘ તરીકે બિરદાવેલા.

બરડા પર્વતને લીધે સૌરાષ્ટ્રનો આ વિભાગ બરડા વિસ્તાર તરીકે જાણીતો છે. આ વિસ્‍તારમાં સ્થાયી થયેલા સહસ્ત્ર ઔદિચ્ય યજુર્વેદી બ્રાહ્મણો બર્ડાઇ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. મુખ્યત્વે ખેતીનો વ્યવસાય કરતા આ બ્રાહ્મણો ટેકીલા, ખમીરવંતા અને સારું શારીરિક સૌષ્ઠવ ધરાવે છે. તેમની શૂરવીરતાની વાતો સોનકંસારીની ગાથામાં વણાયેલી છે.

આવા બર્ડાઇ બ્રાહ્મણ પરિવારમાં પોરબંદર રાજ્યને તાબે આવેલા કુણવદર ગામમાં શ્રી ત્રિકમાચાર્યજીનું ઇ.સ. 1864 એટલે કે વિ. સં. 1920ના પોષ સુદ 7 ના રોજ પ્રાક્ટય થયું. તેમના પિતાનું નામ હરિદાસ અને માતાનું નામ લાછબાઈ. પિતા હરિદાસ પોરબંદરના રાજવી જેઠવાઓના ગોર હોવા ઉપરાંત થોડી ઘણી જમીન ઉપર ખેતી કરતા. બાળકને ભગવાન સ્વરૂપ માનીને પિતાએ એનું નામ ત્રિકમજી પાડ્યું.

નાનકડા ગામમાં વિધાભ્યાસની સુવિધા ન હોઈ શિક્ષણથી વંચિત રહી ગયા. પૂર્વજન્મના સંસ્કારના પ્રબળ પ્રભાવને લીધે બાળ ત્રિકમજી અન્ય બાળકોની જેમ રમત-ગમતમાં સમય ગાળવાને બદલે પ્રકૃતિનું નિરીક્ષણ કરવામાં મશગૂલ રહેતા. ત્રિકમજીને નાનપણથી જ ધર્મ અને આધ્યાત્મિક બાબતોમાં ખૂબ જ રસ હતો. તેઓ મોડી રાત્રિ સુધી ભજનો ગાતા. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી.

ત્રિકમજી કિશોર અવસ્થામાં હતા ત્યારે ઘરમાં કોઈને કહ્યા વગર યાત્રાએ જતા સંઘમાં જોડાઈ ગયા હતા. કુટુંબીજનોને ભય પેસી ગયો કે ત્રિકમજી ક્યાંક સાધુ ન થઈ જાય તેથી પિતાએ તેમને લગ્નબંધનમાં જકડી દીધા. ગૃહસ્થાશ્રમમાં તેમને એક પુત્રી થઈ. પુત્રી નાની હતી અને તેઓ પચીસીમાં હતા ત્યારે તેમની પત્નીનું નિધન થયું.

સાવ નાની પુત્રીના ઉછેરની જવાબદારી આવી પડી, સાંસારિક બાબતો કરતા ભજન-કીર્તનમાં ત્રિકમજી વધુ સમય વ્યતિત કરતા હોવાથી અકળાયેલાં ભાભીના વ્યંગ અને મહેણાંથી ત્રિકમજીએ નાની દીકરી સાથે ગૃહત્યાગ કરીને રોઝડા ગામે એક ખેડૂતને ત્યાં સાથી તરીકે રહ્યા. ત્યાં તેમની પુત્રીનું અવસાન થયું. પરમાત્માએ એમના માટે કંઇક જુદું જ નિર્ધાર્યું હતું. સાંસારિક બાબતોમાંથી કિરતારે એમને મુક્તિ અપાવી. નરસિંહ મહેતાની જેમ “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ” માનીને વૈરાગ્યની ભાવના તીવ્ર બનતા ત્રિકમજીએ અલખની વાટ પકડી.

પચીસ વર્ષની યુવાન વયે શ્રી ત્રિકમાચાર્યે સંસાર ત્યાગ્યો. દિવ્ય જ્ઞાનનો પ્રકાશ પામવા અને સાધના માર્ગે દોરી જવા માટે ગુરુની શોધ આરંભી. આજથી સો વર્ષ પહેલાં એ સમયે સૌરાષ્ટ્રમાં બિલખામાં બ્રહ્મનિષ્ઠ આચાર્ય શ્રીમન્ન નથુરામ શર્માના આનંદ આશ્રમનું મોટું નામ હતું. શ્રી ત્રિકમાચાર્ય બિલખા આનંદ આશ્રમમાં રહ્યા. પરંતુ આશ્રમના નિયમોમાં બંધાઈને સાધના કરવામાં તેમનું મન ન માન્યું. તેથી તેઓ બિલખા છોડીને ગિરનાર પર્વત પર ગયા. ત્યાં એક જૈફ વયના સાધુ મહાત્મા સાથે તેની ગુફામાં રહ્યા. અહીં પણ એકાંત અને યોગ્ય ગુરુ ન મળતા, ગુરુની શોધ બંધ કરી “તું જ તારો ગુરુ થા” સિદ્ધાંતને અનુસર્યા. તેમણે બરડા પર્વતના આભપરાના શિખરની વાટ પકડી. બરડા ડુંગરનો વિસ્તાર રાની પશુઓ ધરાવતા ગાઢ જંગલોમાંથી છવાયેલો છે. એ સમયે દીપડાઓ આ જંગલમાં મોટા પ્રમાણમાં વિચરતા. આ આભપરાની વક્રી ધરા અને બીહડ જંગલની વનરાજીનું તાદૃશ વર્ણન ઝવેરચંદ મેઘાણીએ એમના પુસ્તકમાં કર્યું છે.

આભપરા જામનગરની હદમાં હતો. આભપરાના શિખરે-પહોંચી શ્રી ત્રિકમાચાર્યે એક અવાવરુ ગુફા શોધી તેમાં આસન જમાવ્યું. સાત વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. શરૂઆતમાં વનનાં ફળ-કૂલ પર નિર્વાહ કર્યો. ત્યારબાદ પાંદડાં પર, પછી પાણી ઉપર અને છેલ્લા વર્ષે ફક્ત હવા પર રહ્યા. આ સાત વર્ષ દરમિયાન ગુફામાં જ રહ્યા. કોઈ માનવસંપર્ક ન કર્યો. તપશ્ચર્યાને અંતે તેમને દિવ્ય જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થયો. પરમાત્માને પામ્યા.

પવિત્ર હેતુ સિદ્ધ થતા તેઓ આભપરેથી ઊતર્યા. લોકોના કલ્યાણ અર્થે તેમણે વિચરણ શરૂ કર્યું. ત્રિકમાયાર્યજી મહારાજે કોઈને ગુરુ ન બનાવ્યા કે કોઇ પાસેથી દીક્ષા ન લીધી. ન કોઈનો સંગ કર્યો કે ન કોઇની પાસેથી ઉપદેશ લીધો. પોતે જ પોતાના ગુરુ થયા. એમના જીવનમાં ભારોભાર સાદગી હતી. શરીર ટકાવવા પા શેર ખોરાક દરરોજ લેતા તે પણ ન મળે તો ભૂખ્યા ચલાવી લેતા. તેમણે એક જાતનો આકાશી સંન્યાસ લીધો હતો. અયાચી હતા.

પોતાની જરૂરિયાતો માટે કોઇ પાસે કંઈ માગતા નહીં. અનુયાયીઓ આમંત્રણ આપે તો તેમના ઘરે પધારતા, પરંતુ શરત મૂકતા કે યજમાન દહેજપ્રથા કે કન્યાવિક્રય જેવાં દૂષણોને પ્રોત્સાહન ન આપવાના શપથ લે. ધર્મપ્રચારની સાથે સામાજિક સુધારા પર પણ ભાર મૂકતા. મોટેભાગે ગિરનાર તથા બરડાનાં જંગલોમાં રહેતા. એમને જે પરમ જ્ઞાન તપોબળ અને અનુભવથી પ્રાપ્ત થયું તેને ગ્રંથસ્થ કરવાની ભક્તોની ઇચ્છાને માન આપીને એમના જ્ઞાનને લેખિત સ્વરૂપ આપવાની સંમતિ આપી.

ઈ.સ. 1924 માં “જ્ઞાન પ્રકાશ” નામનો ગ્રંથ જામનગરના વિદ્વાન ભોળાનાથ પંડ્યાએ સંપાદિત કરીને પ્રગટ કર્યો. આ અદ્ભુત ગ્રંથ જ્ઞાનના ભંડાર સમો છે. શ્રી ત્રિકમાચાર્યજી પોતે નિરક્ષર હતા છતાં પૂર્વ-જન્મના સંસ્કારો અને તપ તથા યોગ દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનનું તેમાં નિરૂપણ છે. આ ગ્રંથમાં ધર્મ, દર્શન, ખગોળ, જ્યોતિષ અને વિજ્ઞાન જેવા વિષયો આવરી લેવાયા છે. બ્રહ્માંડની ઉત્પતિ, ગ્રહો, નક્ષત્રો, રાશિઓ, શુભાશુભ ફળો, શરીરશાસ્ત્ર અને પુરાણો તથા ઉપનિષદોનું જ્ઞાન તેમાં સમાવાયું છે. આ ગ્રંથનું મહત્ત્વનું પાસું તેમાં કરેલું ભવિષ્યકથન છે. વિક્રમ સંવતની શરૂઆતથી વિક્રમ સંવત 2600 સુધીનું ભવિષ્ય તેમાં આપેલું છે. ગ્રંથમાં એમણે રચેલાં ભજનો પણ છે. પૂ. ત્રિકમાચાર્યજીની ચમત્કારિક શક્તિના પરચા તેમના ભક્તો અને અનુયાયીઓને મળ્યા છે. તેઓ અદૃશ્ય થવાની શક્તિ ધરાવતા હતા. આ શક્તિનો અનુભવ તેમણે જામનગરના રાજવી અને મહાન ક્રિકેટર જામ રણજિતસિંહને કરાવ્યો હતો.

શ્રી ત્રિકમાચાર્યજીએ અગાઉં ચાર વખત તપોબળથી પોતાનું જીવન બ્રહ્મઅગ્નિમાં હોમ દીધું હતું પરંતુ ભક્તોની વિનવણી અને આજીજીથી તેમણે જીવન ટકાવી રાખ્યું હતું. ઇ.સ. 1930 માં ત્રિકમાચાર્યજી આદિત્યાણા ગામે હતા ત્યારે તેમણે ઇચ્છા મૃત્યુની જાહેરાત કરી અને ભક્તોને તેમને ન રોકવાનો આદેશ આપ્યો. મહાશિવરાત્રિના દિવસે તેમણે મૃત્યુશૈયા તૈયાર કરવાનું કહ્યું. જમીન લીપીને તૈયાર થતા તેઓ જાતે ચાલીને ભોંય પથારીએ જઈને સૂતા અને ૐ નો ઉચ્ચાર કરીને મહાશિવરાત્રીના રાત્રિના 11 વાગ્યે શરીરનો ત્યાગ કર્યો. તેમનું સ્વરૂપાવસ્થાન વિ. સં. 1986 ના મહાશિવરાત્રિના પવિત્ર દિવસે થયું.

વર્તમાન સમયમાં વિપશ્યનાના પ્રવર્તક ગોએન્કાજી અને ઓશો રજનીશે જે કહ્યું તે જ વાત આજથી સો વર્ષ પહેલાં પૂ. ત્રિકમાચાર્યે કરી, “તમે અંતરમાં ઊતરી પોતાની જાતને જોતા શીખો. આત્મ નિરીક્ષણ કરો. જેવું પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. જેવું બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે.” બરડા વિસ્તારમાં પૂ. ત્રિકમાચાર્યજીનાં પાંચ સ્મૃતિ મંદિરો છે. એમના જન્મસ્થળ કુણવદર ગામમાં એમના મંદિરે દર વર્ષે પોષ સુદ 7 ના રોજ ત્રિકમાચાર્યજીનો જન્મોત્સવ ઊજવાય છે.

– બીપીન થાનકી, રીટાયર્ડ બેંક મેનેજર (જીવન દર્શન – દિવ્ય ભાસ્કર)

વેબ લીંક : http://bipinthanky.blogspot.com/2012/04/article-by-me-in-divyabhaskar-trikamji.html

નોંધ: ઉપર રજૂ કરેલ ત્રિકમાચાર્ય બાપુ નું જીવન દર્શન લેખમાં આજના સમય અનુરૂપ કેટલાક સમયાવધિની સુધારણા કરેલ છે, અન્ય સંપૂર્ણ લેખ શબ્દશઃ લીધેલ છે, જેના સર્વે હકો લેખક/પ્રકાશકને આધીન છે. 

Start typing and press Enter to search

© બર્ડાઇ જયોત